Veer Mandhata is giving lots of knowledge.

Wednesday, 4 January 2023

Q.2 કાનૂન સમક્ષ સમાનતાના મૂળભૂત અધિકારોની ચર્ચા કરો,

કાયદા સમક્ષ સમાનતા (અનુ. ૧૪) : ભારતના પ્રદેશમાં, કોઈ રાજ્ય કોઈ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતા અથવા કાનૂનનું સમાન રક્ષણ આપવાનો ઈનકાર કરી શકે નહિ.

કાનૂનનું સમાન રક્ષણ એ શબ્દો સ્પષ્ટ રીતે વિધેયાત્મક (Posi- tive) છે. તેનો અર્થ એ થાય કે સામાન્ય સંયોગોમાં પ્રત્યેક વ્યક્તિને રાજ્ય તરફથી સમાન રક્ષણ પ્રાપ્ત થશે.

કાયદાની દ્રષ્ટિએ સમાનતા' એવી કોઈ નિરપેક્ષ સમાનતાની આપણે કલ્પના ન કરી શકીએ, જેમાં માનવ વાસ્તવિક કે શારીરિક રીતે સમાન હોય. કારણ કે એ તર્ક અને બુદ્ધિ વિરુદ્ધની વાત છે. આ શબ્દોનું તત્પર્ય એટલું જ થાય કે જન્મ અને જાતિ અથવા બીજા કોઈ પણ વિશિષ્ટ કારણને લીધે માનવને ભારતમાં વિશિષ્ટ અધિકાર પ્રાપ્ત થઈ શકે નહિ.ભારતનો પ્રત્યેક નાગરિક વ્યક્તિગત રીતે અથવા વર્ગની દ્રષ્ટિએ રાષ્ટ્રના સામાન્ય કાયદાઓ, જેનું રાષ્ટ્રની સામાન્ય અદાલતો સંચાલન કરે છે, તે આધીન છે. અર્થાત્, રાષ્ટ્રની અદાલતમાં દાવો કરવાનો અથવા દાવાની જવાબદારી ઉઠાવવાનો, ફરિયાદ કરવાનો અથવા ફરિયાદ થાય તો શિક્ષ સહન કરવાનો, એક જ પ્રકારની ફરિયાદ અથવા દાવા માટે અથવા એક જ પ્રકારના સંયોગોમાં જે અધિકાર પ્રાપ્ત થાય છે, તેમાં જન્મ, ધર્મ, ધન, સામાજિક પ્રતિષ્ઠા અગર મોભો, રાજદ્વારી સ્થિતિ અથવા સ્થાનને લીધે કંઈ ભેદભાવ થઈ શકે નહિ. રાષ્ટ્રના કાયદા અને ન્યાયની આંખને પક્ષપાતનાં પડળ હોઈ શકે નહિ.

આનો અર્થ એ નથી કે, રાષ્ટ્રની તમામ વ્યક્તિઓ વચ્ચે સંપૂર્ણ સમાનતા હોય. એક નાગરિક બીજા નાગરિકની સમાન જ છે. પણ કેટલીક વાર, રાજ્યના અધિકારીઓ, જેમની ફરજ જાહેર વ્યવસ્થા જાળવવાની હોય તેમને રાષ્ટ્રના હિતમાં સામાન્ય પ્રજા કરતાં કંઈક વધુ અધિકારો આપવા અનિવાર્ય બને છે. છતાં ‘કાયદાની દ્રષ્ટિએ સમાનતા’ એ સૂત્રને લક્ષમાં રાખીને આપણે જાહેર જનતા સાથે કામ કરનાર પ્રત્યેક જનસેવકોનાં કાર્યક્ષેત્ર અને ફરજો સ્પષ્ટરૂપેનિશ્ચિત કરી દેવાં જોઈએ. આ નિશ્ચિત કાર્યક્ષેત્ર બહાર નીકળી કોઈ જનસેવક અમર્યાદિત રીતે જનતાના અધિકારોનો ભંગ અગર અપકૃત્ય કરે અથવા કાયદાની ઉપરવટ જઈને નૃત્ય કરે અથવા સત્તાનો અતિરેક કરે તો તે જનસેવકને પણ સામાન્ય અદાલત સમક્ષ સામાન્ય પ્રજાજનની જેમ જવાબદાર ઠરાવી શકાય તેવા પ્રબંધ હોવા જોઈએ.

અદાલતી ચુકાદાઓ : સુપ્રીમ કોર્ટે નીચેના કેસોમાં ઠરાવ્યું છે કે અનુ. ૧૪ વૈધાનિક ઉદ્દેશ માટે વર્ગીકરણનો પ્રતિબંધ ઉત્પન્ન કરે છે. આ કેસો નીચે પ્રમાણે છે.

૧. ચિરંજીતલાલ વિ. યુનિયન ઓફ ઈંડિયા A. . . ૧૯૫૧, સુ. કો. ૪૧.

૨. બુધન ચૌધરી વિ. રાજ્ય A. I. R. ૧૯૫૫, સુ. કો. ૧૯૧

૩. બીડી સપ્લાય વિ. સૌરાષ્ટ્ર રાજ્ય A. I. R. ૧૯૫૬,સુ. કો. ૪૦૪

૪. કાઠી રાણીંગ વિ. સૌરાષ્ટ્ર રાજ્ય A. I. R. ૧૯૫૨, સુ. કો. ૧૨૩

૫. સ્ટેટ ઓફ બંગાળ વિ. અનવરઅલી A. I. R. ૧૯૫૨,સુ. કો. ૭૫

૬.રામકૃષ્ણ દાલમિયાં વિ. જસ્ટિસ ટેન્ડુલકર A. I. R. ૧૯૫૮, સુ. કો. ૫૩૯


કેદારનાથ બીજોરીયા વિ. પશ્ચિમ બંગાળ રાજ્ય (એ.આઈ.આર. ૧૯૫૩, સુ. કો. ૪૦૪)માં સુપ્રિમ કોર્ટે કહેલ છે કે, અનુચ્છેદ ૧૪થી, કાનૂનના સમાન રક્ષણની જે સુરક્ષા મળે છે તેનો અર્થ એ નથી કે, બધા કાનૂનો ગુણતત્ત્વમાં સમાન અને સાર્વત્રિક ઉપયોગ માટે હોવા જોઈએ. રાજ્યને વ્યક્તિ તથા વસ્તુ વચ્ચે વિભેદ કરવાનો અધિકાર જ નથી.એવા હેતુ માટેનો હોઈ શકે જ નહિ.

યથાર્થ વર્ગીકરણ થઈ શકે. પણ તે મર્યાદિત રીતે અને મર્યાદિત સ્વરૂપે થઈ શકે.

યથાર્થ વર્ગીકરણના આવશ્યક તત્ત્વો નીચે પ્રમાણેના હોવા જોઈએ ઃ

 (૧) વર્ગીકરણ આવા બુદ્ધિગમ્ય વિભેદ તત્ત્વ ઉપર ઉપસ્થિત હોવું જોઈએ જેથી વ્યક્તિઓ અથવા વસ્તુઓ વ્યક્તિઓ અગર વસ્તુઓ વચ્ચે એક બુદ્ધિગમ્ય ભેદરેખા થાય.

(૨) જે અધિનિયમમાં કરેલા વિભેદ બાબત પ્રશ્ન હોય તેનાથી જે હેતુ સાધવાનો હોય તેની સાથે આ વિભેદ તત્ત્વને બુદ્ધિગમ્ય સંબંધ હોવો જોઈએ.

દા.ત., કરારના કાયદાની ૧૧ મી કલમમાં સગીરત્વ અને પ્રૌઢત્વનો ભેદ કર્યો. તેમાં વિભેદનો પાયો વય છે. આ બે જૂથો સગીર અને પુખ્ત વયનાને યથાર્થ કરાર કરવાના હેતુ સાથે સંબંધ છે. પણ ચામડીના રંગથી માનવ માનવ વચ્ચેનો વિભેદ એ બુદ્ધિગમ્ય વર્ગીકરણ નથી.

યથાર્થ વર્ગીકરણ ગણિતના આંકડાની સમાનતા કે સંપૂર્ણ સમાનતા હોવી જોઈએ એવું જરૂરી નથી. જો દરેક જૂથમાં સમાનતા અને એકત્વ હોય તો તે કાનૂન વિભેદાત્મક નથી. આવે પ્રસંગે આવા વર્ગમાં સમાવિષ્ટ અમુક વ્યક્તિ કે વસ્તુને વધુ લાભ મળતો હોય તેમને અલગ પાડવા જોઈએ.

વર્ગીકરણનો હેતુ કાયદેસરનો હોવો જોઈએ. જે વર્ગીકરણ સદ્ભાવનાથી, વૈધાનિક અને બુદ્ધિગમ્ય રીતે થયેલ હોય અને જેનો હેતુ સીધી અને બુદ્ધિગમ્ય રીતે સંબંધો સ્થાપિત કરવાનો હોય. તે પણ ઘણીવાર અયથાર્થ થઈ શકે.