Veer Mandhata is giving lots of knowledge.

Wednesday, 4 January 2023

Q.4 ભારતના બંધારણનાં આમુખના ઉદ્દેશો ઉદાહરણ સાથે સમજાવો

 આમુખ દ્વારા ભારતના નાગરિકો શું ઈચ્છે છે અને ભાવિ બાબત પ્રત્યે શી અપેક્ષા છે તેનું નિરૂપણ આમુખમાં થયેલ છે.

આમુખ એ ખરી રીતે બંધારણનો હેતુ, ધ્યેય કે આદર્શ અગર પાયાના સિદ્ધાંતો શા છે તેનું નિરૂપણ કરે છે. વિદેશી શાસન નીચેના ભારતનો હેતુ લોકશાહી સ્થાપવાનો હતો. એવી લોકશાહી અને એવું પ્રજારાજ, જે ભારત જેવા વિશાળ દેશની પ્રજાને એક બંધારણીય સૂત્રે બાંધી શકે અને ભારતની પ્રજા, જેમાં અનેક ધર્મો, પંથો, ભાષાઓ અને જીવનપદ્ધતિઓ છે એ અનેકવિધ બહુવિધતાવાળા દેશનું બંધારણ રચવું એ વિકટ કાનૂની વ્યાયામ છે.

કોઈ પણ રાષ્ટ્રનું બંધારણ તે રાષ્ટ્રના રાજદ્વારી, આર્થિક, સામાજિક અને નૈતિક આદર્શો અને ધ્યેય તથા લક્ષ્યાંકોને અનુરૂપ હોવું જોઈએ. આપણા બંધારણના આમુખમાં સ્વતંત્ર ભારત, રાજદ્વારી, આર્થિક, સામાજિક અને નૈતિક દ્રષ્ટિએ ક્યા ધ્યેય, ક્યા હેતુ, ક્યા આદર્શ હાંસલ કરવા રચાયું છે એ વાતનું નિરૂપણ બહુ સ્પષ્ટ રીતે રજૂ કરે છે.

પ્રથમ તો આ લોકશાહી બંધારણ પ્રજાએ રચીને અપનાવ્યું છે એ વાત, ‘અમે ભારતના લોકો' (We, the people of India) એ શબ્દો વાપરીને ખૂબ જ સ્પષ્ટ રીતે રજૂ થાય છે. એ રીતે પ્રજા ભલે ભિન્ન પ્રાંતની હોય છતાં આ બંધારણના સંદર્ભમાં એક અને અખંડિત છે, એ હેતુ વ્યક્ત થાય છે.

ત્યાર પછીના શબ્દો ‘sovereign, socialist, secular, democratic republic' એ દરેક શબ્દો હેતુપૂર્વક લખાયા છે. તેનો અર્થ ‘સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી પ્રજાસત્તાક એવો થાય. આ બધા સિદ્ધાંતો આ બંધારણના પાયાના સિદ્ધાંતો તરીકે આમુખમાં બતાવી ભારતની નવરચનાનો હેતુ ફલિત કર્યો છે.

સાર્વભોમ એ ભારતના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિર્ભીક અસ્તિત્વનું સૂચક તત્ત્વ છે. ભારત ઉપર પ્રજાશાસન છે અને કોઈ બહિર્ કે આંતિરક પરિબળોને તે આધીન નથી એવું એ શબ્દોથી સૂચવવાનો હેતુ છે.

સમાજવાદી તંત્ર એ શબ્દ વાપરીને દેશના આર્થિક માળખાના સ્વરૂપનું નિરૂપણ કરવાનો અને તેના ઉત્પાદન અને વિતરણનાં સાધનોના નિયંત્રણને સૂચવવાનો હેતુ છે.

બિનસાંપ્રદાયિકતા એ ભારતના અસ્તિત્વ માટે એક અનિવાર્ય તત્ત્વ છે. એ ભારતીય લોકશાહીની આધારશિલા છે.

લોકશાહી પ્રજાસત્તાક આ શબ્દો મહદ્ અંશે ભારતીય શાસનનું માળખાકીય સ્વરૂપ કેવું હશે તે સૂચવે છે. એ પ્રજાશાસન હશે, પ્રજાથી પ્રજા માટે (By the people, for the peple) થતું હશે.

ઔપચારિક સ્વરૂપે આ બંધારણના હેતુ આમુખમાં ઉપલા શબ્દોથી બતાવ્યા છે.

આમુખના ત્યાર પછીના ભાગમાં આ સમગ્ર બંધારણ જે પ્રજા માટે, જે પ્રજાથી અને જે પ્રજાનું છે તે પ્રજાને શું આપવું છે, અથવા શું આપવાનું ધ્યેય છે તેનું નિરૂપણ કર્યું છે. એ બંધારણ રચનાર પ્રજાને ન્યાય અને તેં પણ સામાજિક, આર્થિક અને રાજદ્વારી ન્યાય.

સ્વાતંત્ર્ય : વિચાર, વાણી, માન્યતા અને ધર્મનું સ્વાતંત્ર્ય, સમાનતા : પદની અને તકોની સમાનતા.

ભ્રાતૃ ભાવ : વ્યક્તિનો મોભો અને દેશનું ઐક્ય અને અખંડિતતા. આ બધાં એ બંધારણ અપનાવ્યા પછી પ્રાપ્ત કરવાનાં ધ્યેય છે. એ પ્રજાને બંધારણની દેણગીઓ છે, જે સિદ્ધ કરવા બંધારણ ઘડાયું છે.

આ રીતે આમુખનો હેતુ રાષ્ટ્રતંત્રના ઔપચારિક સ્વરૂપ અને તેના પાયાના સિદ્ધાંતોનું નિરૂપણ કરવાનો છે. અને એ પાયાના સિદ્ધાંતો દ્વારા પ્રજાને જે હાંસલ કરવાનું છે, જે વ્યવહારોનું પ્રત્યક્ષ અને સમૂર્ત ફળપ્રજાને માટે સિદ્ધ કરવું છે તેનું નિરૂપણ કરવાનો છે.

ધન્યવાદ