(૧) સમવાયતંત્ર
કોઈ પણ સમવાયતંત્ર બે રીતે રચી શકાય.
૧. અમેરિકામાં છે તેમ જુદાં જુદાં સ્વતંત્ર સાર્વભૌમ રાજ્યો સમજૂતી અગર કરારથી અમુક વિષયોનું સમૂહગત સંચાલન અને વહીવટ કરવા માટે સમવાયતંત્ર રચી શકે. (અથવા)
૨. કેનેડામાં થયું છે તેમ, કોઈ એકમતંત્ર (Unitary State)ના જુદા પ્રાંતો અથવા વિભાગોનું સમવાયતંત્રમાં રૂપાંતર કરી શકાય.
ભારતનું સમવાયતંત્ર બીજી રીતે અસ્તિત્વમાં આવ્યું છે.
ભારતનું બંધારણ કોઈ પ્રાંત કે કોઈ રાજ્યે ઘડેલું બંધારણ નથી. તે ભારત સમસ્તની પ્રજાએ ઘડેલું બંધારણ છે. ભારતની પ્રજાએ પોતાની બંધારણસભામાં એકત્રિત થઈને બંધારણ દ્વારા રાજ્યની બધી સત્તાઓનું, અધિકારોનું, વહીવટી ક્ષેત્રોનું, પ્રાંતો, દેશી રાજ્યો અને સંઘ રાજ્યો વચ્ચે વિસ્તરણ કર્યું છે.
ભારતનું સંઘતંત્ર કોઈ કરારમાંથી કે સમજૂતીમાંથી ઉત્પન્ન થયેલું તંત્રનથી. સંઘના વિભાગો, સંઘની સત્તા, સંઘ અને રાજ્યો વચ્ચેના સંબંધો, વહીવટીતંત્રની એકબીજા પ્રત્યેની જવાબદારીઓ બધું બંધારણે પોતે જ નક્કી કર્યું છે. તેમાં ક્યાંય કરાર કરનાર બે સક્ષમ પક્ષો વચ્ચેની સમજૂતી કે સંમતિનો પ્રશ્ન નથી. આમ છતાં બંધારણમાં કોઈ પણ જગ્યાએ સમવાયતંત્ર એવો શબ્દપ્રયોગ કરવામાં આવ્યો નથી. બંધારણમાં ભારતનાં રાજ્યોનો સંઘ (Union) એવો શબ્દ વાપરવામાં આવ્યો છે. જો કે સમવાયતંત્રનાં બધાં જ લક્ષણો આપણે અપનાવ્યાં છે.
(૧) કેન્દ્ર સરકાર અને એકમ રાજ્યો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે.
(૨) બંધારણનું અર્થઘટન અને રક્ષણ કરવા સર્વોચ્ચ અદાલત સ્થાપવામાં આવી છે.
(૩) બંધારણ લિખિત છે અને તેની સર્વોપરિતાનું સ્થાપન કરવામાં
આવ્યું છે.
આમ, સમવાયતંત્રનાં બધાં લક્ષણો ધરાવતું હોવા છતાં જગતનાં બીજાં સમવાયતંત્રોથી ભારતનું સમવાયતંત્ર અનોખી ભાત પાડે છે.
(૨) એકમતંત્રનાં લક્ષણો
(૧) ભારતનું બંધારણ સમવાય સ્વરૂપનું હોવા છતાં પ્રસંગોપાત એકતંત્રીય છે. રાષ્ટ્રીય ઐક્ય તથા અખંડિતતાના ભોગે સમવાયતંત્રનું સ્વરૂપ નિભાવી ન શકાય એ સિદ્ધાંત નજર સમક્ષ રાખીને બંધારણીય પ્રબંધો રચાયા છે.
(૨) અનેકવિધ ધર્મો, અનેકવિધ ભાષાઓ અને અસંખ્ય રૂઢિઓ રિવાજો ઉપર સ્થાપિત ભારતનો જનસમાજ, પ્રાંતવાદ કે પ્રદેશવાદને નામે રાષ્ટ્રીયત્વને હાનિ ન પહોંચાડે, ભારતની સંગઠિતતા અને ઐક્યને ભયમાં ન મૂકે અને ભારત એક સંઘ (Union) તરીકે અસ્તિત્વમાં રહે એ માટેના પ્રબંધો બંધારણમાં કર્યા છે.
(૩) ભારતનો પ્રજાજન કોઈ રાજ્યનો નાગરિક નથી, પણ અખંડ ભારતનો નાગરિક છે. રાષ્ટ્રીયત્વ અને નાગરિકત્વ એક જ રાખેલ છે, જે એમ તંત્રનું લક્ષણ છે.
(૪) પ્રાંતો કે રાજ્યો વચ્ચે ભૌગોલિક મર્યાદાઓ સ્વભાવિક રીતે હોય જ;; પણ આ ભૌગોલિક મર્યાદા ભારતના નાગરિકના મુક્ત વેપાર, મુક્ત વિહાર કે મુક્ત-ઈચ્છામાં આવે તે સ્થળના નિવાસ માટે બાધક નથી. એ રીતે ભારત એક અને અવિભાજ્ય છે.
(૫) પ્રાંતીય સત્તા નાગરિક વહીવટ પૂરતી જ મર્યાદિત છે. પ્રાંતની સુરક્ષા એ રાષ્ટ્રની ચિંતા, રાષ્ટ્રની જવાબદારી છે. સૈનિક રચના કેન્દ્રના જ શાસન નીચે રહેલી છે, જેની વ્યવસ્થા તથા શાસન રાષ્ટ્રપતિની જ દ્રષ્ટિએ થાય છે.
(૬) વૈધાનિક તથા બંધારણીય શેષ સત્તાઓ કેન્દ્રમાં જ સ્થાપિત છે. પ્રાંતીય સ્વાયત્તતાનો અર્થ પ્રાંતીય સત્તાને કેન્દ્ર સાથેના સંબંધોનો વિચ્છેદ કરવાની સત્તા એવો થતો નથી, જે એકમ તંત્રનું લક્ષણ છે.
(૭) રાષ્ટ્રને જોખમમાં મૂકે એવું કોઈ સ્વાતંત્ર્ય આ સમવાયતંત્રનાં સંયુક્ત રાજ્યોને નથી. આ સમવાયતંત્ર કરારોત્પન્ન નથી. તે ખુદ બંધારણથી ફલિત થાય છે ને બંધારણની સર્વોપરિતા આપણે એટલી હદ સુધી સ્થાપિત કરી છે કે બંધારણીય સુધારણાઓ માત્ર સંસદીય વિધાનથી જ થઈ શકે. સમવાયતંત્રના સ્વાયત્ત એકમોને એ અધિકાર નથી.
(૮) કેન્દ્રમાં સર્વોચ્ચ ન્યાયાધીશ, કેન્દ્રીય નાણામુદ્રાનું સંચાલન, કેન્દ્રીય સંદેશાવહેવાર, કેન્દ્રીય વાહનવહેવાર અને વિકાસનું કેન્દ્રીય આયોજન એ બધાં ત્તત્ત્વો એવાં છે કે જેનાથી ફલિત થાય છે કે રાષ્ટ્રીય હિતને લક્ષમાં રાખીને જ આ સમવાયતંત્રનો વહીવટ થાય છે. નહિ તો આ વિશાળ ઉપખંડને સંઘર્ષ કરતાં પ્રદેશોમાં વહેંચાઈ જતાં વાર ન લાગે
(૯) બંધારણમાં બહિર આક્રમણ કે આંતરિક અવ્યવસ્થા માટે કટોકટી સ્થાપિત કરવાની સત્તા એ પ્રાંતો કે રાજ્યો ઉપર સત્તા ભોગવવાની આકાંક્ષામાંથી નહિ પણ રાષ્ટ્રીય એકતા તથા રાષ્ટ્ર સમગ્રના હિતની દ્રષ્ટિએ કરેલી યોજના પ્રબંધ છે.
આમ, ‘ભારતનું બંધારણ માત્ર બાહ્ય આકારથી જ સમવાયી છે, વાસ્તવમાં તો તેનું સ્વરૂપ એકાત્મક જ છે.’